- ગુજરાતમાંથી પ્રથમ વખત યુવતીને રક્ષામંત્રી પદકના બહુમાન માટે પસંદ કરવામાં આવી છે.
- ભર્ગસેતુએ વર્ષ 2018ના મે મહિનામાં સાવલી સ્થિત મહિસાગર નદીમાં ડૂબી રહેલા યુવકને જીવના જોખમે બહાર કાઢી બચાવી લીધો હતો.
- સાવલી સ્થિત રસલપુર ગામમાંથી પસાર થતી મહિસાગર નદીમાં નાહવા પડેલા ચાર જેટલા મિત્રો પૈકી બે ડૂબતા એકને બચાવી લેવામાં આવ્યો હતો.
- ભર્ગસેતુ શર્માની બહાદુરી અંગે જિલ્લા કલેકટરે પણ તેનુ સન્માન કર્યું હતું.
- એનસીસીની પૂર્વ કેડેટ કેપ્ટન છે ભર્ગેસેતુ શર્મા
શહેર નજીક આવેલા સાવલી સ્થિત રસલપુર ગામમાંથી પસાર થતી મહિસાગર નદી એક પર્યટક સ્થળ છે. જ્યાં જીવના જોખમે લોકો નદીના ધમધમતા પાણીના વહેણમાં નાહવા માટે પડે છે અને ભાન ભુલી જતા જીવ ગુમાવી દેતા હોય છે, આ પ્રકારના અનેક કિસ્સોઓ પ્રકાશમાં આવ્યાં છે. ત્યારે વર્ષ 2018ના મે ભર્ગસેતુના કારણે આજ પ્રકારની એક ઘટના બનતા અટકી હતી. જેમાં મહિસાગર નદીનાં ધરામાં ડૂબતા યુવાનને ભર્ગસેતુએ ડૂબતા બચાવી લીધો હતો. જેની માટે તેનુ જિલ્લા કલેકટર અને સાંસદ દ્વારા કરાયું હતું. તેમજ ગત 25મી જાન્યુઆરીના રોજ દિલ્હી ખાતે દેશના રક્ષા મંત્રી નિર્મલા સીતારમનના હસ્તે રક્ષા મંત્રી પદકથી સન્માનિત કરવામાં આવી હતી.
ગત વર્ષ 2018ના મે મહિનાની કાળઝાળ ગરમીમાં વડોદરાના ચાર જેટલા યુવાનો રસલપુર સ્થિત નદીમાં નાહવા માટે પહોંચ્યાં હતા. દરમિયાન એક યુવક પાણીમાં તણાયો હતો અને નદીમાં ઊંડે સુધી પહોંચી ગયો હતો. ડૂબતા યુવકને બચાવવા માટે સ્થળ પર હાજર અન્ય યુવકો દ્વારા બૂમાબૂમ કરવામાં આવી હતી. આ સમયે એનિમલ રેસ્ક્યુ ટીમ સાથે રસલપુર મહીસાગર નદી કિનારા પર ફરવા આવેલ ભર્ગસેતુ શર્માએ ડૂબતા યુવકને બચાવવા માટે ક્ષણનો પણ વિચાર કર્યાં વિના નદીમાં ઝંપલાવ્યું હતું.
ભર્ગસેતુ શર્માએ ડૂબતા યુવકને 20 ફૂટ ઊંડેથી બહાર લાવીને તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હતી. જેમાં તેણે તેને સી.પી.આર આપીને તેનો જીવ બચાવ્યો હતો. 30 મિનિટની તાત્કાલિક સારવાર બાદ યુવક સ્વસ્થ થયો હતો. આ સમયે યુવકે કહ્યું હતું કે, હું આ કર્જ કદી નહીં ચૂકવી શકું. જીવવાની આશા ગુમાવી દીધેલા યુવકને ભર્ગસેતુએ બહાદુરીપૂર્વક બચાવી અને જીવનદાન આપ્યું હતું.
રસલપુર પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં ડૂબતા યુવકને 20 ફૂટ ઊંડેથી બહાર કાઢીને બચાવનાર વડોદરાની યુવતી ભર્ગસેતુ શર્માને તેની બહાદુરી બદલ ગત 25મી જાન્યુઆરીના રોજ દિલ્હી ખાતે રક્ષામંત્રી નિર્મલા સિતારમન દ્વારા રક્ષા પદક એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાતમાંથી પ્રથમ વખત યુવતીને રક્ષામંત્રી પદકના બહુમાન માટે પસંદ કરવામાં આવી હતી. ગુજરાતમાંથી અગાઉ 2001માં અમદાવાદના યુવકને તેની બહાદુરી બદલ રક્ષામંત્રી પદક આપવામાં આવ્યો હતો.